પાકિસ્તાનના ઓલિમ્પિક મેડલ વિજેતા અરશદ નદીમે ભારતીય ગોલ્ડન બોય નીરજ ચોપરાના નીરજ ચોપરા ક્લાસિકના આમંત્રણને નકારી કાઢ્યું છે. તેઓ 24 મે, 2025 ના રોજ બેંગલુરુમાં યોજાનારી નીરજ ચોપરા ક્લાસિક જેવલિન ઇવેન્ટમાં ભાગ લેશે નહીં, જેના માટે નીરજ ચોપરાએ તેમને આમંત્રણ મોકલ્યું હતું. પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી ગયેલા તણાવ વચ્ચે નદીમે આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

અરશદ નદીમે આપ્યું આ કારણ
જોકે, 28 વર્ષીય અરશદ નદીમે આનું કારણ આગામી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માટે પોતાની તાલીમ ગણાવી છે અને નિરજના આમંત્રણને નકારી કાઢ્યું. આ દરમિયાન, નીરજ ચોપરાએ ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ લખીને દુ:ખ વ્યક્ત કર્યું કે નદીમને ભારત આમંત્રણ આપવા બદલ તેમને અને તેમના પરિવારને ઓનલાઈન હેટનો સામનો કરવો પડ્યો.
અરશદ નદીમે આમંત્રણ બદલ નીરજ ચોપરાનો આભાર માન્યો. તેમણે કહ્યું કે તેઓ આ કાર્યક્રમમાં ભાગ લેવા માંગે છે. પરંતુ, એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાગ લેવો તેની પ્રાથમિકતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નદીમ આ દિવસોમાં પાકિસ્થાનના લાહોરમાં સખત તાલીમ લઈ રહ્યો છે. તે એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સારું પ્રદર્શન કરવા માંગે છે. પાકિસ્તાની સ્ટારે પેરિસ 2024 ઓલિમ્પિકમાં 92.97 મીટરના ઓલિમ્પિક રેકોર્ડ થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે ચોપરા બીજા સ્થાને રહીને સિલ્વર મેડલ જીત્યો હતો.ત્યારબાદ પાકિસ્તાનમાં અરશદ નદીમ અને નીરજ ચોપરાને લઈને એક નવી સ્પર્ધા ઊભી થઈ હતી.
અરશદને આમંત્રણ આપવા અંગે નિરજે મૌન તોડ્યું
નીરજ ચોપરાએ તાજેતરમાં જ અરશદ નદીમને એનસી ક્લાસિકમાં આમંત્રિત કરવાના નિર્ણય પર પોતાનું મૌન તોડ્યું છે. તેમણે કહ્યું કે લોકો તેમના દેશ પ્રત્યેના પ્રેમ અને તેમના પરિવારના સન્માન પર સવાલ ઉઠાવી રહ્યા હતા તેનાથી તેમને દુઃખ થયું છે. નીરજે આગ્રહ કર્યો કે અરશદને આપવામાં આવેલું આમંત્રણ ફક્ત એક ખેલાડી તરફથી બીજા ખેલાડીને હતું એના સિવાય બીજું કઈ નહોતું.
નિરજે એમ પણ કહ્યું કે દેશ અને તેના હિતો હંમેશા પહેલા રહેશે. તેમણે તાજેતરના આતંકવાદી હુમલાઓ પર દુઃખ વ્યક્ત કર્યું અને પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. નીરજે તેમને અને તેમના પરિવારને નિશાન બનાવનારાઓની ટીકા કરી. તેમણે મીડિયાના કેટલાક વર્ગો દ્વારા બનાવવામાં આવતી ખોટી વાર્તાઓ પર પણ નિરાશા વ્યક્ત કરી.

હું ઓછું બોલું એનો એ મતલબ નથી કે ખોટી વાત સામે પણ નહીં બોલું – નીરજ ચોપરા
નીરજે કહ્યું- હું સામાન્ય રીતે ઓછું બોલતો વ્યક્તિ છું, પરંતુ તેનો અર્થ એ નથી કે હું એવી બાબતો સામે નહીં બોલું જે મને ખોટી લાગે છે. ખાસ કરીને જ્યારે વાત મારા દેશ પ્રત્યેના પ્રેમ અને મારા પરિવાર પ્રત્યેના આદરની આવે છે. મારો દેશ અને તેના હિતો હંમેશા પહેલા રહેશે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. જે બન્યું તેનાથી સમગ્ર રાષ્ટ્રની સાથે, હું પણ દુઃખી અને ગુસ્સે છું. મને વિશ્વાસ છે કે આપણા દેશનો પ્રતિભાવ એક રાષ્ટ્ર તરીકે આપણી શક્તિ બતાવશે અને ન્યાય થશે.
નીરજ ચોપરાએ કહ્યું કે તેમણે ઘણા વર્ષોથી ગર્વથી પોતાના દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેથી, જ્યારે તેમની પ્રામાણિકતા પર પ્રશ્ન ઉઠાવવામાં આવે છે ત્યારે તેઓ દુઃખી થાય છે. તેમને એ વાતનું પણ દુઃખ છે કે તેમને એવા લોકોને સ્પષ્ટતા આપવી પડી રહી છે જેઓ કોઈ કારણ વગર તેમને અને તેમના પરિવારને નિશાન બનાવી રહ્યા છે. નીરજે કહ્યું- મેં આટલા વર્ષોથી મારા દેશનું ગર્વથી પ્રતિનિધિત્વ કર્યું છે, તેથી જ્યારે મારી પ્રામાણિકતા પર સવાલ ઉઠાવવામાં આવે છે ત્યારે મને દુઃખ થાય છે. મને દુઃખ છે કે મારે એવા લોકોને સ્પષ્ટતા આપવી પડી રહી છે જેઓ મને અને મારા પરિવારને કોઈ કારણ વગર નિશાન બનાવી રહ્યા છે.

મારી માતાએ નિર્દોષ ભાવે નિવેદન આપ્યું હતું – નીરજ ચોપરા
નીરજે કહ્યું કે તેઓ સામાન્ય લોકો છે અને તેમને કંઈક બીજું બનાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ. તેમણે મીડિયાના કેટલાક વર્ગો દ્વારા બનાવવામાં આવતી ખોટી વાર્તાઓ પર પણ નિરાશા વ્યક્ત કરી. નીરજે કહ્યું કે ફક્ત એટલા માટે કે તે બોલતો નથી, તેનો અર્થ એ નથી કે આ વાર્તાઓ સાચી છે. નીરજે એમ પણ કહ્યું કે તેમને એ સમજવું મુશ્કેલ લાગે છે કે લોકો પોતાના મંતવ્યો કેવી રીતે બદલે છે. તેણે યાદ અપાવ્યું કે એક વર્ષ પહેલા જ્યારે તેની માતાએ એક નિર્દોષ ભાવે ટિપ્પણી કરી હતી, ત્યારે લોકોએ તેની ખૂબ પ્રશંસા કરી હતી. પરંતુ આજે એ જ લોકો એ જ ટિપ્પણી માટે તેની માતાને નિશાન બનાવી રહ્યા છે. નીરજે કહ્યું- આ દરમિયાન, હું એ સુનિશ્ચિત કરવા માટે વધુ મહેનત કરીશ કે દુનિયા ભારતને યાદ રાખે અને તેને બધા યોગ્ય કારણોસર ઈર્ષ્યા અને આદરથી જુએ.
નીરજ ચોપરા ભારતીય સેનામાં ફરજ બજાવે છે
નીરજ ચોપરા હાલમાં ભારતીય સેનામાં સૂબેદાર મેજર તરીકે ફરજ પણ બજાવે છે,તેઓ હાલ 4 રાષ્ટ્રીય રાઈફલ્સ સાથે જોડાયેલ છે. તમને જણાવી દઈએ કે નીરજ ચોપરાને પરમ વિશિષ્ઠ સેવા મેડલ પણ મળેલ છે.