ચાર્મીબેન, નીતાબેન અને તરૂલતાબેન સમાજને આપી રહ્યા છે શુદ્ધ ખોરાક, ઓર્ગેનિક જીવનશૈલી અને પરંપરાગત સાત્વિક રસોઈનો સંદેશ.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવતી ત્રણ મહિલાઓની પ્રેરણાદાયક કહાની ખાસ ધ્યાન ખેંચે છે. ત્રણેય પોતના ક્ષેત્રમાં કાર્ય કરીને અલગ અલગ રીતે સ્વસ્થ જીવનશૈલી અને શુદ્ધ ખોરાકનો સંદેશ ફેલાવી રહ્યા છે.
ચાર્મીબેને સરકારી કોલેજમાં કેમિકલ એન્જિનિયરિંગના પ્રોફેસરની પ્રતિષ્ઠિત નોકરી છોડીને “ગૌનીતિ” તબેલાની શરૂઆત કરી. આજે તેમના તબેલામાં 100થી વધુ ગાયો છે અને તેઓ A2 ગાયનું શુદ્ધ દૂધ તથા તેની બનાવટો લોકો સુધી પહોંચાડે છે. કેન્સરના લીધે પરિવારના એક સભ્યનું મૃત્યુ થતાં તેમના જીવનમાં મોટો વળાંક આવ્યો અને ત્યારથી તેમણે સમાજને શુદ્ધ અને સ્વસ્થ ખોરાક આપવાનો સંકલ્પ લીધો.

“પરિવારમાં કેન્સર જેવી બીમારીનો અનુભવ થયા પછી સમજાયું કે શુદ્ધ ખોરાક કેટલી મોટી જરૂરિયાત છે, તેથી જ લોકો સુધી A2 ગાયનું શુદ્ધ દૂધ પહોંચાડવાનું મિશન શરૂ કર્યું.”
બીજી તરફ નીતાબેન એક ખેડૂત ઉદ્યમસાહસિક તરીકે ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપે છે. તેઓ રસાયણમુક્ત શાકભાજી ઉગાડે છે અને તેના બીજનું સંરક્ષણ કરીને “Seed Bank” દ્વારા અન્ય ખેડૂતો તેમજ લોકોને ઉપલબ્ધ કરાવે છે.

“રસાયણમુક્ત ખેતી માત્ર ખેતી નથી, તે લોકોના આરોગ્ય અને ભવિષ્યની પેઢી માટે સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ છે.”
70 વર્ષથી વધુ ઉંમરના તરૂલતાબેન સાત્વિક રસોઈમાં અનોખું યોગદાન આપી રહ્યા છે. તેઓ કોળાની બરફી, મહુડાનો કંસાર, મિલેટ અપ્પમ અને લીલી હળદરની રાબ જેવી પરંપરાગત વાનગીઓ બનાવીને સાત્વિક જીવનશૈલી તરફ લોકોને પ્રેરિત કરે છે.

“પરંપરાગત સાત્વિક ભોજનમાં સ્વાસ્થ્ય અને સંસ્કૃતિ બંને છે, તેથી હું નવી નવી વાનગીઓ બનાવીને લોકોને ફરી આ પરંપરા તરફ લાવવા પ્રયત્ન કરું છું.”
આ ત્રણેય મહિલાઓ સાબિત કરે છે કે સમર્પણ અને સંકલ્પથી મહિલાઓ સમાજમાં સકારાત્મક બદલાવ લાવી શકે છે.